મોટા વાહનો પર પ્રતિબંધ મૂકાતા
ભરૃચ નજીક નર્મદા નદી પરના સરદારબ્રિજ પરથી મોટા વાહનોને પસાર થવા દેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેના પગલે પૂલની બંને બાજુના માર્ગો પર ૮ કિલોમીટર વાહનોની લાંબી લાઇન લાગેલી જોવા મળી રહી છે. વાહનોની લાંબી લાઇનોથી ટ્રાફિકજામને પગલે વાહનચાલકોની હાલત કફોડી બની રહી છે.
સરદારબ્રિજ પર સમારકામ હાથ ધરાતા મોટા વાહનો પર પ્રતિબંધ મુકાતા પુનઃ ટ્રાફિકજામની સમસ્યા ઉભી થઇ છે.
ભરૃચમાં નેશનલ હાઇવે પર ઝાડેશ્વર નર્મદા નદી પર આવેલ સરદાર બ્રિજ ઉત્તર અને દક્ષિણના વાહન વ્યવહારને જોડતી સમાન છે. સરદાર બ્રિજની વહનક્ષમતા ઘટતાં તથા બ્રિજમાં ક્ષતિઓ સર્જાતા આ બ્રિજને અવારનવાર મોટા વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરાય છે. જેના કારણે મોટા વાહનો પરનો વાહન વ્યવહાર ખોરવાતો આવ્યો છે. વર્ષો બાદ બ્રિજની મરામત હાથ ધરાતા તેને મોટા વાહનો માટે ખુલ્લો મુકાયો હતો. જો કે બ્રિજમાં વારંવાર ગાબાઓ પડતાં અને તેના જોઇન્ટમાં ખામીઓ સર્જાતા તેને અવારનવાર સમારકામ હેઠળ મુકવો પડે છે. જેને પગલે છાશવારે મોટા વાહનો પર પણ પ્રતિબંધ પડે છે. તાજેતરમાં જ વધુ એકવાર બ્રિજની મરામ્મત હાથ ધરાઇ છે. જેના લીધે મોટા વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવતાં નેશનલ હાઇવે પર બ્રિજની બંને બાજુ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે. જેની અસર ભરૃચના ગોલ્ડન બ્રીજ પર પણ જોવા મળતી હતી. નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થતા કાર ચાલકોનો પ્રવાહ ગોલ્ડન બ્રીજ તરફ વળતા ત્યાં પણ ટ્રાફિક જામ છે.
ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે પર ૮ થી ૧૦ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગતાં વાહન ચાલકોની હાલત કફોડી બની હતી. અતિઆવશ્યક સેવાઓ પણ ટ્રાફિક જામના કારણે પ્રભાવિત થઈ હતી તો બીજી બાજુ માનવ કલાકો અને ઈંધણનો પણ વ્યય થયો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા સરદાર બ્રીજને પેરેલલ નવો બ્રીજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે ૨૦૧૬ના મધ્યમાં પૂર્ણ થવાની સંભાવના છે પરંતુ આ બ્રીજ પૂર્વ થાય ત્યાં સુધી નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી રહેશે, તે નક્કી છે.
No comments:
Post a Comment