Monday, 29 June 2015

ભાદર ડેમનાં ૩ દરવાજા બંધ થતા નથી, વહી જતો જળજથ્થો

ગાંધીનગરથી ટીમો દોડી આવી




દરવાજાને નુકશાન, નીચેના સિમેન્ટ કોંક્રીટનાં પાળા ધોવાઈ ગયા ઃ આજે સાંજ સુધીમાં લીકેજ અટકાવાશે ઃ તંત્ર
સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર ડેમ મેઘરાજાએ એક ઝાટકે છલકાવી તો નાખ્યો પણ ડેમનાં ત્રણ દરવાજાનાં નીચેના ભાગને નુકશાન થતાં દરવાજા બંધ થઈ ન શકતા ડેમમાં સંગ્રહાયેલો પાણીનો જથ્થો વહી રહ્યો છે. જેનાં પગલે ગાંધીનગરથી નિષ્ણાતોની ટીમ દોડી આવી છે. ડેમમાં લોખંડનાં ત્રણે દરવાજા નીચે સિમન્ટ કોંક્રિટનાં બનેલા પાળા પાણીનાં જબ્બર પ્રવાહમાં વહી ગયા હોવાનું ખુલ્યું છે. હાલ ૫૦ જેટલા મજુરો અને મશીનરીઓ દ્વારા ભાદર ડેમમાંથી થતું પાણીનું લિકેજીંગ અટકાવવા કામગીરી ચાલુ છે. મંગળવારે સાંજ સુધીમાં કોઈ પણ પ્રકારે લીકેજીંગ અટકાવી દેવાશે. તેમ, તંત્ર દ્વારા જણાવાયું હતું.
ભારે વરસાદનાં લીધે ભાદર ડેમમાં ૭ લાખ કયુસેક પાણીની આવક સામે સાડા ત્રણ લાખ કયુસેક પાણી છોડી શકવાની ડેમનાં દરવાજાની ક્ષમતા છે. જેનાં કારણે ડેમ પરનાં અધિકારીઓએ એક સમયે ડેમ ભયજનક સ્થિતીમાં હોવાની જાણ ગાંધીનગર કરી દીધી હતી. પરંતુ વરસાદે વિરામ લેતા અધિકારીઓનાં શ્વાસ હેઠા બેઠા હતાં.
વરાપ દરમ્યાન ડેમનાં દરવાજા બંધ કરવાની કામગીરી શરૃ કરાતા ૪,૧૪ અને ૧૭ નંબરનાં દરવાજાબંધ ન થતાં પાટિયામાં કંઈક ખામી હોવાની શંકાથી મજુરોને પાટીયા સુધી ઉતારાયા હતાં, થોડુ રિપેરીંગ કરવા છતાં પાટીયા બંધ ન થતાં નિષ્ણાંતોને બોલાવી તપાસ કરાવાતા લોખંડનાં ત્રણેય પાટીયાની નીચે સિમેન્ટ - કોંક્રિંટનાં પાળાઓ પાણીનાં પ્રવાહમાં વહી ગયાનું જણાયું હતું.આથી, આ અંગે ઉચ્ચકક્ષાએ જાણ કરાતા ગાંધીનગરથી ટીમો દોડી આવી છે. લોખંડની વિશાળ પ્લેટો મગાવી, લોખંડનાં સળિયાઓની ફ્રેમ બનાવી મરીન સિમેન્ટ કે જે પાણીમાં ફેવીકોલ જેવું કામ કરે છે, તેની થેલીઓ ગોઠવી દરવાજા
 સ્થળે ઉતારવામાં આવી રહી છે, પરંતુ ડેમ આખો ભરેલો હોવાથી રિપેરીંગમાં મૂશ્કેલી પડી રહી છે.
હાલ ડેમ પર લોખંડની વિશાળ ક્રેઈનો જેસીબી લોડર વગેરે સામગ્રી વડે મરીન સિમેન્ટની થેલીઓ લોખંડનાં સળિયાઓની બનેલી ફ્રેમમાં ઉતારવાની કામગીરી ઉપરાંત ખાલી બારદાન (કંતાનો) પણ મગાવી કંતાનો લિકેજિંગ આડે રાખી લિકેજિંગ બંધ કરવાની લગભગ ૫૦ મજૂરો દ્વારા દિવસ ચાલી રહી છે.
આ અંગે ભાદર ઈરિગેશનના ઈજનેર પી.પી. બલદાણીયા એ જણાવેલ કે, પાણીના ભારે પ્રવાહથી ત્રણ દરવાજાને નૂકશાન થયું છે. લિકેજિંગ અટકાવવા દિવસ રાત કામગિરી ચાલુ છે. ડેમની સપાટી ૧/૭ સુધીમાં ૨ ફુટ ઓછી, ૧/૮ સુધીમાં ૧ ફુટ ઓછી અને ૧/૯ સુધીમાં ડેમ સંપુર્ણ ભરેલો રાખવો પડે તેવો નિયમ છે. જે મુજબ આ ત્રણ દરવાજામાંથી પાણી વહી જવા છતાં લેવલીંગ જળવાઈ રહ્યું છે. મંગળવાર સાંજ સુધીમાં કોઈ પણ રીતે લિકેજિંગ અટકાવાશે.
ભાદર ડેમમાંથી પ્રતિ સેકન્ડ વહી જતુ ૧૦૦ ક્યુસેક પાણી
ભાદર ડેમના ત્રણ દરવાજાનો નીચેનો હિસ્સો ભારે જળપ્રવાહમાં વહી જતા દરવાજા બંધ થતા નથી. આ ત્રણે દરવાજામાંથી હાલ પ્રતિ સેકન્ડ ૧૦૦ ક્યુસેક પાણી વહી રહ્યું છે. કાલે સાંજ સુધીમાં રીપેરીંગ કામગીરી પૂર્ણ કરી લેવાશે તેમ સિંચાઈ વિભાગના મુખ્ય ઈજનેર નાદપરાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ત્રણે દરવાજા નીચેના ગડર ભાદર ડેમ બન્યો તે વખતના છે. ભારે જળપ્રવાહને કારણે આ ગડર આસપાસનો ભાગ ધોવાઈ ગયો છે.
સુરવોડેમમાંથી પાણી છોડાતા વડીયા પંથકમાં ભારે તારાજી
દુર્ઘટના સમયે જ સિંચાઈ કચેરીમાં અને મામલતદાર કચેરીએ જવાબદાર અધિકારી ન્હોતા ઃ આવેદન અપાયુ

તાજેતરમાં ભારે વરસાદ બાદ કોઈપણ જાતની ચેતવણી આપ્યા વિના સુરવો ડેમના દરવાજા ખોલી નાખવામાં આવતા આ વિસ્તારનાં ખેડૂતોને પારાવાર નુકસાન થયું હોવાનું જણાવી આ પ્રકારની બેદરકારી અંગે પગલાં લેવાની તાકીદ કરવામાં આવી છે.
વડીયા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આજરોજ કોઈ પણ જાતની ચેતવણી કર્યા વગર કે તકેદારી રાખ્યા વગર ડેમનાં પાટીયા ખોલી નાખવામાં આવેલ છે. સુરવો ડેમમાંથી પાણી છોડયા બાદ ભયંકર તબાહી સર્જાઈ ગયેલ છે. તેમજ માલ ઢોરને હાની પહોંચેલ છે. ઘરવખરી ચારો સહિત સામગ્રી તણાઈ ગયેલ છે. આ સ્થિતિમાં આ વિસ્તારની સ્થિતિ ચિંતાજનક બની છે. દુર્ઘટના સમયે મામલતદાર કચેરીમાં કે સિંચાઈ વિભાગમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન્હોતા. જેના કારણે પારાવાર નુકશાની ભોગવવી પડી છે.

No comments:

Post a Comment