Friday, 26 June 2015

ભારે વરસાદને લીધે સૌરાષ્ટ્રના ૧૪ ડેમો છલકાતાં એલર્ટ પર

એક દિવસમાં અમરેલી,ભાવનગર સહિતના ૨૦ ડેમો છલકાયા

વરસાદને લીધે ૩૫ ડેમોમાં પાણીની નવી આવક થઇ


, અરવલ્લી,કચ્છના ૨૨ ડેમો હજુયે ખાલીખમ
સૌરાષ્ટ્રમાં મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ખાલીખમ પડેલા ડેમો જાણે સજીવન થયાં છે. વરસાદી પાણીથી ડેમોમાં નવી આવકો થઇ છે. એટલું જ નહીં , ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના ૧૪ ડેમો સંપૂર્ણપણે છલકાઇ ગયા છે જેથી આ ડેમો એલર્ટ પર મૂકાયાં છે.
અમરેલી, ભાવનગર,બોટાદ, ગીર સોમનાથ અને રાજકોટના ડેમો ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં ભરાઇ ચૂક્યાં છે. સૌરાષ્ટ્રના ૨૦ ડેમો તો એક જ દિવસમાં ભરાઇ ગયાં હતાં. ચોમાસાના પ્રથમ ધમાકેદાર રાઉન્ડમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીની નવી આવકો શરૃ થઇ ગઇ છે. છેલ્લાં ૨૪ કલાકથી સાંબેલાધાર વરસાદે સૌરાષ્ટ્રમાં એવી અતિવૃષ્ટિ સર્જી દીધી છે પરિણામે અમરેલીના ખોડિયાર, રાઇડી , સંકરોલી ,સૂરજવાડા ડેમોમાં તો સંપૂર્ણપણે ભરાઇ જતાં હાઇએલર્ટ પર મૂકાયાં છે. ભાવનગરના છ ડેમોમાં ક્ષમતા સમાન પાણી ભરાઇ જતાં હાઇએલર્ટ જારી કરાયું છે. ગીર સોમનાથમાં હિરણ-૨ અને રાજકોટમાં ભાદર ડેમમાં સંપૂર્ણપણે છલકાઇ જતાં એલર્ટ પર મૂકાયાં છે.
વરસાદને કારણે સૌરાષ્ટ્ર - દક્ષિણ ગુજરાતમાં કુલ ૩૫ ડેમોમાં પાણીની નવી આવકો શરૃ થઇ છે પરિણામે ડેમોમાં પાણીની સપાટી વધી છે. બીજી તરફ, કચ્છ, સાબરકાંઠા અને અરવલ્લીમાં હજુયે ૨૨ ડેમો એવા છેકે, જેમાં માત્ર ૧ ટકાથી ૪ ટકા જેટલું જ પાણી છે. ગુજરાતમાં હજુયે ૫૦થી વધુ ડેમોમાં પાણીનો સંગ્રહ માત્ર ૧૦ ટકાથી ઓછુ છે.
સૌરાષ્ટ્રના કયા ડેમો છલકાયા
ભાદર-૧ , ઉંડ ,સૂરવો , ડોડી, વેરી , ગોંડલી ,છાપરવાડી , મોતીસર, ભાદર- ૨, શેત્રુંજય ,ખારો , ખોડિયાર,હમીરપરા,વડી ,વડિયા , રાવત,સૂરજવડી, રતાવડ
રાજકોટનો ભાદર, ભાવનગરનો શેત્રુંજી ડેમ છલોછલ ભરાયા
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે તથા ઉપરવાસમાંથી પાણી આવતા સૌરાષ્ટ્રના બે મોટા ડેમ - રાજકોટનો ભાદર ડેમ અને ભાવનગરનો શેત્રુંજી ડેમ છલોછલ ભરાઈ જતાં હાઈ એલર્ટ ઉપર મૂકાયા છે. શેત્રુંજીમાં તેની ક્ષમતા ૩૦૯૦ લાખ ઘન મીટર સુધી અને ભાદરમાં તેની ક્ષમતા ૧૮૮૦ લાખ ઘન મીટર સુધી પાણી ભરાયું છે.
સૌરાષ્ટ્રના બીજાં ૨૪ નાના જળાશયો-ડેમો ૭૫ ટકાથી ૧૦૦ ટકા સુધી ભરાઈ ગયા છે, જેને કારણે, સતત વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત અમરેલી જિલ્લાના વડિયા અને સંક્રોલી જળાશયો, ભાવનગરના હાણોલ અને રોજકી, જામનગરનો ફોફળ-૨ ડેમ તેમજ રાજકોટ જિલ્લાના વેરી, મોતીસર ડેમો અને કબીર સરોવર મળીને કુલ ૮ જળાશયો-ડેમો હાઇ એલર્ટ ઉપર મૂકાયા છે. જ્યારે અમરેલીનો ખોડિયાર ડેમ, ભાવનગરનો ખારો, લાખણકા અને પીંગળી તેમજ રાજકોટ જિલ્લાના ન્યારી-૧, લાલમરી તથા સરવો ડેમ વોર્નિંગ સ્ટેજ ઉપર મૂકાયા છે.

No comments:

Post a Comment