Sunday, 28 June 2015

યાત્રાળુઓને પાવાગઢ ચડવો બનશે વધુ સરળ



ગુજરાતના ઐતિહાસિક પાવાગઢ ડુંગરની ટોચે મહાકાળી ભદ્રકાળીનાં દર્શને ચાલતા જતા યાત્રીકોના માર્ગને પહોળી કરીને સાત મીટરનો કરશે. પહેલા આ માર્ગ ત્રણ મીટરનો હતો. આના અમલ બાદ હવે યાત્રાળુઓ આરામથી પગથિયા ચડીને તેમની આસ્થા અને બાધા પુરી કરી શકશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હાલના 2200 પગથિયાને પણ બદલી કાઢશે. દર 10 પગથિયે વિસામા સાથેની ખાસ ડિઝાઈન મંજૂર કરાઇ છે. વર્ષ 2016ના આરંભથી રૃ.78 કરોડના ખર્ચે અપ-ડાઉન રૃટને રિનોવેટ કરવાનું કામ શરૃ થશે.
સોમનાથ, દ્વારકા, પાલિતણા, ડાકોર ડેવલપમેન્ટ પ્લાનનો અમલ અને અંબાજીના ગઢ ગબ્બર, ચોટીલા ડુંગર યાત્રાધામના રિનોવેશન કર્યા પછી હવે ગુજરાતના ઈતિહાસમાં ધાર્મિક, રાજકીય અને સામાજિક મહત્ત્વ ધરાવતા પાવાગઢના વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજ્ય સરકારે પાવાગઢ ડેવલપમેન્ટ પ્લાન માટે રૃ.300 કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે. પહેલા તબક્કે રૃ.78 કરોડનો સ્ટેપવોક-વે તૈયાર કરવામાં આવશે. તળેટીથી માચી અને ત્યાંથી મહાકાળી માતાજીના સ્થાનક સુધી પહોંચાડતા પગથિયા ૬ ફૂટના અને સીધા ચઢાણના છે. હવે તેને ૨૧ ફૂટ પહોળા કરવામાં આવશે. બીજા તબક્કામાં ઐતિહાસિક દુધિયા અને છાશિયા તળાવને પથ્થરે મઢવાનું આયોજન છે. ઉલ્લેખનીય છે, પશ્ચિમ ભારતમાં સૌથી પહેલી રોપ-વે સુવિધા સાથે શ્રદ્ધાળુઓને દર્શાનાર્થે લઈ જનાર યાત્રાધામ તરીકે પણ પાવાગઢનું નામ લેવાય છે.
ગુજરાતના ઈતિહાસમાં પાવાગઢનું ઘણું મહત્ત્વ
ગુજરાતના ઈતિહાસમાં પાવાગઢનું ઘણું રાજકીય મહત્ત્વ રહેલું છે. રાજધાની પાટણના પતન પછી ગુજરાતમાં અમદાવાદને રાજધાની બનાવીને સલ્તનતકાળનો આરંભ થયો હતો. 14મી સદીના અંતભાગમાં જ્યારે ગુજરાત સલ્તનતમાં શાસકોને અમદાવાદનું તાપમાન ગરમ લાગ્યું ત્યારે સુલતાન મહંમદ બેગડાએ ઈસ 1984માં પાવાગઢ પર ચઢાઈ કરીને તેને જીતી લઈ ત્યાંના ઠંડા હવામાનમાં ચાંપાનેરને રાજધાની બનાવી હતી.
600 વર્ષ પુર્વે પતાઈ રાજાએ કંડારેલી કેડી પર એનઆરઆઇ પટેલે પથ્થર મઢાવ્યા
600 વર્ષ પૂર્વે 14મી સદીમાં પતાઈ રાજાએ પાવાગઢમાં મહાકાળી માતાજીની સમીપે ડૂંગર ઉપર જ વસવાટ કર્યો હતો. તે વખતે જ તેમણે ડૂંગર પર પહોંચવા નાનકડી કેડી બનાવી હતી. વર્ષો સુધી આ કેડી પર ટુકડે ટુકડે પથ્થરો મુકીને પગથિયા બનાવાયા હતા. છેલ્લે વર્ષ 1998માં મૂળ ખેડાના કવિથા ગામના એનઆરઆઈ પટેલે સવા કરોડના ખર્ચે ધાંગધ્રાના રેતિયા પથ્થરથી 1500 જેટલા પગથિયા મઢાવ્યા હતા.
આઠમ, પૂનમે 1 લાખથી વધારે શ્રધ્ધાળુનો પ્રવાહ
પાવાગઢની ટોચે બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરે આઠમ અને પૂનમે એક લાખથી વધારે શ્રદ્ધાળુનો ધસારો હોય છે. ઈતિહાસકારોએ મહાકાળી માતાજીને ગુજરાતના કુળદેવી તરીકે વારંવાર ઉલ્લેખ્યા છે. અહીં, સતિ પાર્વતિનો અંગુઠો પડયો છે. અંબાજીમાં સતિનું હૃદય પડયું હતું.
ઈન્દુલાલ યાજ્ઞિકે પાવાગઢનું પતન ફિલ્મ બનાવી હતી
મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિાકે પાવાગઢનું પતન નામની ગુજરાતી ફિલ્મ બનાવી હતી. જેમાં પતાઈ રાજા અને સુલતાનનાં દ્શ્યો બાબતે તે વખતે વિવાદ વકર્યો હતો. આ વિવાદને શાંત કરવા ફિલમનું એડીટીંગ કરી તેને ફરી રીલીઝ કરવામાં આવી હતી. 

No comments:

Post a Comment