Monday, 29 June 2015

ગ્રીસની કટોકટીથી ભારતના અર્થતંત્ર પર સંકટનાં વાદળો

ભારતમાં વિશ્વના દેશોએ કરેલું રોકાણ પરત થવાની સંભાવના

સ્થિતિનો સામનો કરવા માટે સરકાર તૈયાર ઃ રાજીવ મહર્ષિ


યુરો નબળો પડશે તો ભારતની સોફ્ટવેર અને એન્જિનિયરિંગ નિકાસને અસર થવાનો ભય
ગ્રીસની નાણાકીય કટોકટીને પગલે ભારતમાંથી મૂડી પરત ખેંચાવાની શક્યતા છે અને સ્થિતિનો સામનો કરવા માટે સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે ચર્ચા કરી રહી છે તેમ નાણા સચિવ રાજીવ મહર્ષિએ આજે જણાવ્યુૅ હતું.ઉદ્યોગપતિઓના મતે યુરો નબળો પડશે તો ભારતની સોફ્ટવેર અને એન્જિનિયરિંગ નિકાસમાં ઘટાડો થવાનો અંદાજ છે. એસોચેમના જણાવ્યા અનુસાર ભારતીય અર્થતંત્ર ગ્રીસ સાથે સીધો સંકળાયેલું નથી પણ યુરોપિયન યુનિયનને અસર થશે તો તેની પરોક્ષ અસર ભારતીય અર્થતંત્ર ઉપર પણ જોવા મળશે.
ગ્રીસના આર્થિક સંકટને પગલે બીએસઇ સેન્સેક્સ શરૃઆતમાં ૫૦૦ પોઇન્ટ તૂટયો હતો જો કે બપોરે સેન્સેક્સમાં સુધારો થયો હતો અને અંતે સેન્સેક્સ ૧૬૭ પોઇન્ટ તૂટીને બંધ રહ્યો હતો. આ દરમિયાન નાણા સચિવ મહર્ષિએ પત્રકારોને જણાવ્યું હતું કે અમે આરબીઆઇના સતત સંપર્કમાં છીએ. આ સંદર્ભમાં જરૃર પડશે તો આરબીઆઇ પગલા ભરશે.  તેમણે જણાવ્યું હતું કે ગ્રીસ નાણાકીય કટોકટીની ભારત પર સીધી કોઇ અસર થશે નહીં. જો કે મૂડી પ્રવાહ પર યુરોપ દ્વારા પરોક્ષ અસર થઇ શકે છે. યુરોપમાં વ્યાજ દર વધી શકે છે. યુરોપમાં વ્યાજ દર વધવાને કારણે ભારતમાંથી મૂડી પરત ખેંચવામાં આવે તેવી શક્યતા છે.
તેમણે કહ્યું હતું કે સ્થિતિ બદલાઇ રહી છે. જેટલી અસર યૂરો પર થશે તેટલી અસર ભારતના મૂડીપ્રવાહ પર થઇ શકે છે. જો યુરો બોન્ડનું વેચાણ વધશે તો તેની અસર પણ ભારતના મૂડીપ્રવાહ પર થવાની શક્યતા છે. કોઇ પણ ભવિષ્યવાણી કરી શકે તેમ નથી કે સ્થિતિ કેવી રહેશે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કોઇ ભારતીય કંપની ગ્રીસમાં બિઝનેસ ધરાવે છે? તો તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મને જાણ નથી. અમેરિકામાં પણ જો સરકારી બોન્ડનું વેચાણ વધશે તો તેની અસર પણ ભારતીય મૂડીપ્રવાહ પર થવાની સંભાવના છે. અમને ખબર નથી કે વિદેશી રોકાણકારો પોતાની મૂડી ક્યાં લઇ જશે?
ઉલ્લેખનીય છે કે ગ્રીસે આજે મૂડી પર નિયંત્રણ મૂકી દીધા છે અને ૬ જુલાઇ સુધી બેન્કો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન એલેક્સિસ સિપ્રાસે યુરોપીય દેશોના પ્રસ્તાવિત રાહત પેકેજ અંગે ૫ જુલાઇએ મતદાન કરવાની જાહેરાત કરી છે.
ગ્રીસમાં ૬ જુલાઇ સુધી બેંકો બંધ રહેશે  એટીએમમાંથી માત્ર ૬૫ ડોલર મળશે
ગ્રીસમાં એટીએમમાંથી નાણા ઉપાડવા લાંબી લાઇનો ઃ ભારતના ઓટો એસિલરીઝ, આઇટી અને ફાર્મા  સેકટરને અસર થવાની સંભાવના

સોમવાર સવારે ગ્રીસ સરકારે તમામ બેંકોને ૬ જુલાઇ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.. બેંકોની સાથે ગ્રીસમાં એટીએમમાંથી પણ નાણા ઉપાડવા ઉપર પણ નિયંત્રણ લાદવામાં આવ્યા છે. એટીએમમાંથી મહત્તમ ૬૫ ડોલર જ ઉપાડી શકાશે. ગ્રીસના વડાપ્રધાન એલેક્સિસ સિપ્રાસે ૫ જુલાઇએ મતદાન કરાવવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણય પછી સમગ્ર ગ્રીસમાં એટીએમમાંથી નાણા ઉપાડવા માટે મોટી લાઇનો જોવા મળી રહી છે.  નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હવે ગ્રીસના ચલણનું યુરોથી બહાર નીકળવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ગ્રીસ સરકારને મંગળવાર સુધીમાં આઇએમએફ પાસેથી લીધેલી લોનની ચુકવણી કરવાની છે.
અનેક ભારતીય કંપનીઓ ગ્રીસ અને અન્ય યુરોપિયન દેશોમાં વેપારી હિત ધરાવે છે. યુરોમાંથી ગ્રીસ બહાર જશે તો યુરો નબળો પડવાની શક્યતા છે. ગ્રીસની કટોકટીને કારણે ભારતના ઓટો એંસિલરીઝ, આઇટી અને ફાર્મા  સેકટરને અસર થવાની સંભાવના છે.
ભારત ફોર્જ, મધરસન સુમી, કોક્સ એન્ડ કિંગ જેવી કંપનીઓ પર ટૂંકા ગાળમાં અસર થવાની શક્યતા છે. ટૂરિઝમ સ્ટોક કોક્સ એન્ડ કિંગ્સ અને થોમસ કિંગ જેવી કંપનીઓના બિઝનેસ ઉપર પણ અસર પડી શકે છે.
ગ્રીસવાસીઓને 'યસ'ની તરફેણમાં મતદાન કરવાની અપીલ
યુરોપિયન કમિશનના વડા જીન કલાઉડ જંકરે ગ્રીસવાસીઓને રવિવારે થનારા મતદાનમાં 'યસ'ની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું ગ્રીસવાસીઓને જણાવવા માગુ છું કે મૃત્યુના ભયે તમે આત્મહત્યા કરવાનું પસંદ કરશો નહીં. તેમણે જણાવ્યું હતું કે જો તમે 'નો'ની તરફેણમાં મતદાન કરશો તો ગ્રીસ યુરો ઝોનમાંથી બહાર નીકળી જશે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે પણ ચેતવણી આપી છે કે જો યુરો તૂટશે તો યુરોપ તૂટી જશે.

No comments:

Post a Comment