Friday, 26 June 2015

ભારે વરસાદથી ચારધામ યાત્રા સ્‍થગિતઃ ૧૪,૦૦૦ યાત્રિકો ફસાયા

ઉત્તરાખંડમાં આફતનો વરસાદ : રસ્‍તાઓ ધોવાઇ ગયા : પુલો તૂટી ગયા : નિર્જન પડાવોમાં યાત્રિકો ફસાયા : બદ્રીધામ - હેમકુંડની યાત્રા પણ અટકી : હાઇવે બંધ હોવાથી ગંગોત્રી યાત્રા પણ ઠપ્‍પ :
ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડતા ચારધામ યાત્રા રોકી દેવામાં આવી છે. કુલ ૧૪,૦૦૦ યાત્રિકો ફસાયા છે. સાથોસાથ ગંગોત્રી, બદ્રીનાથ, હેમકુંડના તીર્થયાત્રિકોને પણ સલામત સ્‍થળોએ અટકાવી દેવામાં આવ્‍યા છે. કેદારનાથના ગૌરીકુંડ સુધી અલગ અલગ પડાવ પર ૭૬૦ યાત્રિકોને રોકી દેવાયા છે. બદ્રીનાથ ધામમાં ૩૦૦૦ અને હેમકુંડ યાત્રા પર જઇ રહેલા ૧૦૦૦ યાત્રિકોને ઘાઘરીયામાં જ રોકી દેવાયા છે.
કેદારનાથ ધામમાં બુધવાર રાતથી વરસાદ ચાલુ છે. ગઇકાલે જ યાત્રા અટકાવી દેવાઇ હતી. યાત્રિકોને સલામતીના કારણોસર ગુપ્‍તકાશી, ફાટા, સોતપ્રયાગ, ગૌરીકુંડ, લીનચૌલીમાં જ રોકી દેવાયા છે.
જાણવા મળતી વિગત મુજબ કેદારનાથથી ગૌરીકુંડ સુધી અલગ અલગ પડાવ પર ૭૬૦ યાત્રિકો છે. જેમાં કેદારનાથમાં ૪૬૯, લિનચૌલીમાં ૧૫૦, જંગલ ચટ્ટીમાં ૧૦૦ અને ગૌરીકુંડમાં ૫૦ યાત્રિકો છે. કેદારનાથમાં મંદાકીની નદીની સપાટી પણ ઝડપથી વધી રહી છે. નદીમાં ત્રણ ગણુ પાણી વધી ગયું છે.
બદ્રીનાથ હાઇવે લામબગડ, રડાંગ બેંડ, કંચન ગંગામાં બંધ હોવાથી તંત્રએ યાત્રિકોને બદ્રીનાથ - જોષીમઠમાં જ રોકી દીધા છે. બદ્રીનાથ ધામમાં ૩૦૦૦ યાત્રિકોને રોકી દેવાયા છે. ઘાઘરિયામાં ૧૩૦૦ને રોકી દેવાયા છે. મજુરો અને મશીનો બદ્રીનાથ હાઇવેને ખોલવામાં લાગ્‍યા છે. પણ એકધારા વરસાદને કારણે કામ થઇ શકતું નથી.
ગઇકાલે સવારે ૧૦ વાગ્‍યે રસ્‍તા પર શીલાઓ પડતા રસ્‍તો બંધ થઇ ગયો હતો. વરસાદને જોતા યાત્રિકોને રોકી દેવાયા છે.
હેમકુંડ માર્ગ પર લક્ષ્મણ ગંગાનું જળસ્‍તર વધતા માર્ગ પરના ૩ પુલ તૂટી ગયા છે. જેને કારણે ૪૪૦૦ શીખ યાત્રિકો ફસાયા છે.
વરસાદની અસર યમુનોત્રી અને ગંગોત્રી ધામની યાત્રા પર પણ પડી છે. સુક્કી નાલામાં હાઇવે બંધ કરાયો છે. વાહન વ્‍યવહાર ઠપ્‍પ થઇ ગયો છે.
જિલ્લા તંત્રના જણાવ્‍યા પ્રમાણે બદ્રીનાથ તરફ જઇ રહેલા ૧૪,૦૦૦ યાત્રિકો વરસાદમાં ફસાયા છે તેમને વચ્‍ચે રોકી દેવાયા છે. ચમોલીમાં વરસાદની ભારે અસર થઇ છે. આકાશ સ્‍વચ્‍છ થયે યાત્રિકોને આગળ શરૂ કરાશે. રાજ્‍યમાં ૧૨ કલાકથી વરસાદ ચાલુ છે. હેમકુંડ સાહિલ યાત્રાને પણ વરસાદ - ભૂસ્‍ખલનને કારણે રોકી દેવાઇ છે.
જુનાગઢ-ભાવનગર-સુરતના ૧૬ યાત્રાળુઓ ચારધામ યાત્રામાં ફસાયા
રાજકોટઃ ચાર ધામની પવિત્ર યાત્રામાં સૌરષ્‍ટ્ર-ગુજરાતના દોઢ ડઝન યાત્રાળુઓ ભારે વરસાદ વચ્‍ચે ફસાઇ ગયા છે. અમરનાથ યાત્રામંડળના સભ્‍ય જુનાગના બિપીનભાઇ જોષીએ અખબારોને જણાવેલ કે જુનાગઢના અને ભાવનગરના ૪-૪ યાત્રાળુઓ તેમની મોટરમાં ગયા છે અને સુરત તરફના આઠેક મુસાફરો છે ઓ બધાને ઉતરાખંડના ભારે વરસાદને લીધે જોષીમઠમાં રોકી દેવાયા છે અહી ગુજરાત સહિત દેશભરના હજારો ઉતારૂઓ ફસાઇ ગયા છ.ે
ત્‍યાં નજીકના ગામોમાં વિજળી નથી તેથી મોબાઇલ ચાર્જ થઇ નહિ શકતા સંપર્ક થતા નથી. લગભગ પ૦૦ બસ અને વાહનો રોકી દેવાયા છે. લોકોને આગળ વધવા મનાઇ ફરમાવાઇ છે.
અમોલી- જોષીમઠ નજીક રસ્‍તાઓ તુટી પડતા રસ્‍તા બંધ છે જે આજે ચાલુ થવા સંભવ છે.

No comments:

Post a Comment