Monday, 17 August 2015

ઘાયલ ધવન ટેસ્ટશ્રેણીમાંથી આઉટ

જમણા હાથમાં ફ્રેક્ચરને લીધે છ સપ્તાહ માટે આરામની સલાહ


શ્રીલંકા પ્રવાસે ત્રણ ટેસ્ટની શ્રેણી રમવા ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટમાં થયેલા નાટયાત્મક પરાજયમાંથી બેઠી પણ થઇ નહોતી ત્યાં હવે શિખર ધવન ઈજાને લીધે ટેસ્ટશ્રેણીમાંથી ખસી જતા ફટકો પડયો છે. ધવનને જમણા હાથમાં ફ્રેક્ચર થતાં તે શ્રીલંકા સામે બાકીની બંને ટેસ્ટમાં રમી શકશે નહીં. ગોલ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ દરમિયાન ધવનને આ ઈજા થઇ હતી. ધવનનો આજે એમઆરઆઇ સ્કેન કરાવવામાં આવ્યો હતો, જેમાં તેને જમણા હાથમાં હેરલાઇન ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. ધવનને છ સપ્તાહ માટે આરામની સલાહ આપવામાં આવી છે. આ ઈજાને લીધે જ ધવન બીજી ઇનિંગ્સમાં ફિલ્ડિંગ માટે પણ ઊતરી શક્યો નહોતો. પ્રથમ ટેસ્ટમાં ધવને પ્રભાવશાળી દેખાવ કર્યો હતો અને પ્રથમ ઇનિંગ્સમાં ૧૩૪ જ્યારે બીજી ઇનિંગ્સમાં ૨૮ રન નોંધાવ્યા હતા.  શ્રીલંકા બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન સામેની વોર્મ અપ મેચમાં ધવને ૬૨ રનની ઇનિંગ્સ રમી હતી. આ ઉપરાંત બાંગલાદેશ સામેની ટેસ્ટશ્રેણીમાં ૧૭૩ રન નોંધાવ્યા હતા. ભારતીય ટીમને ધવનની ખોટ પડશે એ નિશ્ચિત છે. ધવને કુલ ૧૫ ટેસ્ટની ૨૬ ઇનિંગ્સમાં ૪૪.૫૩ની એવરેજથી ૧૧૫૮ રન નોંધાવ્યા છે. ધવનને સ્થાને કોનો સમાવેશ કરવો તે અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.
દરમિયાન સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય ટીમના પ્લેયરોએ પ્રથમ ટેસ્ટમાં પરાજય બાદ હોટેલમાં જ પૂરાઇ રહી હતી. આ વિષે ટીમ મેનેજમેન્ટના એક સભ્યે જણાવ્યું હતું કે 'આ પરાજયથી ટીમનો દરેક સભ્ય ખૂબ જ નિરાશ છે. રવિ શાસ્ત્રીએ આ પરાજયમાંથી બેઠા થવા દરેક સભ્યોને બે દિવસનો બ્રેક આપવાનો નિર્ણય લીધો છે. મંગળવારથી ભારતીય ટીમ પ્રેક્ટિસનો પ્રારંભ કરશે. ' ભારત અને શ્રીલંકાની બીજી ટેસ્ટનો ૨૦ ઓગસ્ટથી પ્રારંભ થશે. મુરલી વિજય પ્રથમ ટેસ્ટમાં ઈજાને લીધે રમી શક્યો નહોતો. પરંતુ હવે તે સંપૂર્ણ ફિટનેસ મેળવવામાં છે અને બીજી ટેસ્ટમાં રમે તેવી પૂરી સંભાવના છે. આ સ્થિતિમાં ધવનનું સ્થાન મુરલી વિજય લેશે જ્યારે લોકેશ રાહુલને કંગાળ દેખાવ છતાં ઓપનર તરીકે યથાવત્ રાખવામાં આવશે. એક સંભાવના એવી પણ છે કે લોકેશ રાહુલને પડતો મૂકી તેના સ્થાને ચેતેશ્વર પૂજારાને ઓપનિંગમાં ઉતારવામાં આવે. પૂજારાએ અગાઉ કેટલીક ટેસ્ટમાં ઓપનર તરીકે કામગીરી અદા કરી છે.
હરભજનને સ્થાને બિન્નીના સમાવેશની સંભાવના
કોલંબો ખાતે રમાનારી બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં હરભજનને સ્થાને સ્ટુઅર્ટ બિન્નીને સામેલ કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે. હરભજને પ્રથમ ટેસ્ટમાં કંગાળ દેખાવ કર્યો હતો અને તેણે કુલ ૨૫ ઓવરમાં ૯૦ રન આપી માત્ર ૧ વિકેટ ખેરવી હતી. બીજી તરફ અશ્વિન-અમિત મિશ્રાએ કુલ ૧૫ વિકેટ ખેરવી હતી. બિન્નીને શાસ્ત્રીના સૂચનથી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ૩૧ વર્ષીય બિન્નીએ અગાઉ ૩ ટેસ્ટની ૬ ઇનિંગ્સમાં ૧૧૮ રન નોંધાવ્યા છે પરંતુ તે હજુ સુધી એકપણ વિકેટ ખેરવી શક્યો નથી. રવિ શાસ્ત્રીએ પ્રથમ ટેસ્ટ બાદ જ સંકેત આપી દીધા હતા કે બીજી ટેસ્ટમાં પણ ભારત પાંચ બોલર્સની રણનીતિ જારી રાખશે.
શાસ્ત્રી ફક્ત મોટી-મોટી વાતો કરવામાં જ નિષ્ણાત
ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર કિર્તી આઝાદે જણાવ્યું હતું કે 'શાસ્ત્રી ફક્ત મોટી-મોટી વાતો કરી જાણે છે પણ માત્ર વાતો કરવાથી મેચ જીતી શકાતી નથી. ભારતીય ટીમને હવે રાહુલ દ્રવિડ જેવા કોચની જરૃર છે. દ્રવિડ પાસેથી ટીમના યુવા ક્રિકેટર શિસ્તના પાઠ ભણશે એ અલગ. મને તો એ જ સમજાતું નથી કે ભારતીય ટીમનો નવા કોચની પસંદગી માટે આટલો વિલંબ શા માટે કરવામાં આવી રહ્યો છે. કોચ પસંદ કરવા માટે રચવામાં આવેલી સચિન તેંડુલકર-સૌરવ ગાંગુલી-લક્ષ્મણની સમિતિની બેઠક માત્ર એકવાર મળી છે. આ સમિતિ આખરે કરી શું રહી છે તેની બીસીસીઆઇએ તપાસ કરવી જોઇએ. શાસ્ત્રી ટીમ ડિરેક્ટર કે કોચની કામગીરી માટે યોગ્ય નથી  તેવું મારું સ્પષ્ટ માનવું છે.'

No comments:

Post a Comment